સંદીપ ભાટિયા – માણસ જેવો માણસ
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.
સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.
-સંદીપ ભાટિયા
Dec 22, 2009 @ 11:42:20
One of my fav contemporary writers…Have you read his ‘attar ni shishi maan mohya?”..If you have it, pls put it on the blog..
Dec 27, 2009 @ 10:59:53
No haven’t read it…will read it 🙂
Mar 21, 2011 @ 06:18:36
Nice One … Saras Kruti…